Create Free Blog | Random Blog »   Report Abuse | Login   

 

જાણતા અજાણતા


પોથી પઢી પઢી જગ મૂઆ, પંડીત ભયા ન કોઇ.- કબીરજીની આ સો પ્રતિશત ખરી ટકોર જાણીતી છે. અખાના છપ્પા ભણવામાં આવતા -તિલક કરતા ત્રેપન થયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફુટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન. પાનબાઇ અને નરસિંહ મહેતાના ભજનોમાં જે ઉંડાણ અને જે સમજ જોવા મળે છે તે આજના ધાર્મિક વેવલાવેડા કરતા મોટા માથાના બુધ્ધિજીવી લોકોમાં નથી મળતી. ઉઘાડા પગે માનતા(મન્નત) પુરી કરવા મંદિરે જવા હાલીનીકળતા સેલિબ્રેટીઓ ઓછા નથી ! હિન્દુ ધર્મ બહુ જ સહિષ્ણુ છે, આવી ઘેલછાએ ધર્મને બહું નુક્સાન પહોંચાડ્યું છે. લોકોએ શોર્ટ કટ શોધવામાં પાછુવાળીને જોયું નથી. લોકો પોતાના ભગવાન પોતે જ નક્કી કરી લે છે, આચાર સંહિતા પોતે જ નક્કી કરી લે છે. “આજ ઉપવાસ હૈ, આજ ચિકન મટન નહીં ચલેગા” બીજે જ દિવસે તેની નોનવેજ ખાવાની તાલાવેલી જોવા જેવી હોય છે. અમુક ભગવાનના મંદિરો ખાલી ખમ્મ હોય અને જ્યાં ભીડ હોય ત્યાં કાલાચોકી થી લીલીવાડી સુધી લાંબી લાઇન લગાડીને ઉભા રહેતા ભક્તોની સંખ્યા લાખોમાં જાય છે. શ્રધ્ધાના કલેવરમાં અશ્રધ્ધા છુપાયેલી હોય છે, જો એવું ન હોત તો હમણા જે તાજી ઘટના રાજસ્થાનમાં બની તે ન ઘટત. બોમ્બની દહેશતથીજ ૨૫૦ માણસો ભાગંભાગમાં કચરાઇને મરીગયા. પૂર્ણ શ્રધ્ધાથી ઉભેલા માણસો હોત તો થોડીક ખાત્રી કરીલેવાની ધીરજ હોત.

આપણે ધર્મભીરું છીએ કે ધર્મ વિષે અજ્ઞાની કે પછી અંધશ્રધ્ધાળુ ? કંપનીના પ્રેસીડેન્ટ લેવલના વ્યક્તિઓને પણ આ બાબતમાં અભણ જેવા જોયા છે. પોંગા પંડીતો આરામથી આવા લોકોના ગુરુ બની જતા હોય છે. ઘણા વિદ્વાનોએ લોકો સુધી જ્ઞાન પહોંચડવાનો અથાગ પ્રયત્ન કર્યો છે. એ બધા વંદનીય છે. જ્ઞાન વધે છે અને ઉંમર વધે છે એમ સમજાય છે તેની સામે જે નથી સમજાતું એનો ઢગલો મોટો થતો જાય છે. મને એમ ફીલ થાય છે કે થોડુંક G.K (જનરલ નોલેજ ) ધર્મ વિષે લોકોને હોવું જોઇએ, તો કદાચ સસ્તા ધાર્મિકવેડા ઓછા થાય.

ચલો અમુક વાતોનો વિનીમય કરીએ, જ્ઞાન નથી આપતો, કશું જ નવું નથી લખતો ! આ તો થોડું અંતાક્ષરી જેવું ! ઘણા લોકો જાણતા હશે, છતાં પણ…

કિતને પ્રતિ/શત…. જાનતે હૈ, કી….. ?

  • શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાંથી સરેલી વાણી ગીતા રુપે કુલ ૧૮ અધ્યાયમાં આવરી લીધી છે, તે ૯૦% લોકોને ખબર હશે પણ કુલ ૭૦૦ સાતસો શ્લોકો છે તે બહુ ઓછા % લોકોએ ગણ્યા હશે !
  • અલગ અલગ અધ્યાયમાં અલગ અલગ વિષયોને આવરી લીધા છે જેમ કે અર્જુન વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ વિગેરે.. કેટલા % હિન્દુઓને ખબર હશે ?
  • ગીતાના પહેલા અધ્યાયના શ્લોક નં ૧૨ થી ૧૯ સુધીમાં પાંડવ સેનાના મહારથીઓ જે શંખધ્વની કરે છે તેનું વર્ણન છે. શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત નામનો શંખ, ભીમસેને પૌંડ્ર નામનો શંખ, યુધિષ્ઠિરે અનંતવિજય નામનો, નકુળે સુઘોષ નામનો અને સહદેવે મણિપુષ્પક નામનો. કિતને પ્રતિશત હિન્દુ …?
  • શ્રી કૃષ્ણનો છેલ્લો સંવાદ ૧૮ મો અધ્યાય શ્લોક નં-૭૨ : હે પાર્થ શું તે એકાગ્રચિત્તે ગીતા શાસ્ત્રનું શ્રવણ કર્યું ? અજ્ઞાનમાંથી ઉપજેલો તારો મોહ નષ્ટ થયો ? … કેટલા % હિન્દુઓ……
  • જ્યારે કોઇ બ્રામ્હણ પંડીતને ઘરમાં કોઇ ધાર્મિક વિધી કરવા બોલાવો છો ત્યારે તે જે શ્લોકો બોલે છે તેમાં બે પ્રકાર હોય છે. વેદોક્ત અને પુરાણોક્ત. યજમાન જો જનોઇ ધારણ કરવાને અધિકારી હોય તો શ્લોકો વેદોક્ત બોલે છે. અને જો જનોઇ ધારણ કરવાને અધિકારી ન હોય તો શ્લોકો પુરાણોક્ત એટલે કે પુરાણના મંત્રો બોલાય છે કેટલા હિન્દુઓ ? જાવાદો, કેટલા % બ્રાહ્મણોને ખબર હોય છે ? ( આમ છે તે હકિકત છે, પણ આમ કેમ છે તેનો જવાબ ખબર નથી ! )
  • વેદોક્ત મંત્રોનું વ્યાકરણ અઘરું સંસ્કૃત છે અને ગવેદ કે યજુર્વેદના મંત્રો હોય છે. ગીતાના શ્લોકો પુરાણના શ્લોકો છે, કારણકે ગીતા શ્રીમદ ભાગવત પુરાણનો મહાભારતની કથાનો એક ભાગ છે. કિતને પ્રતિશત ….હિન્દુ ?

અને છેલ્લે અહેમ પ્રશ્ન ..

  • ગીતાજી અધ્યાય ૯ મો, શ્લોક નં-૩૪, શ્રી કૃષ્ણ કહે છે, मन्मना भव, मदभक्तो मद्याजी मां नमस्कुरु । મારામાં મનને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર, આ રીતે મારામાં પરાયણ થઇને રહીશ તો તું મને જ પામીશ.- કેટલા પ્રતિશત હિન્દુઓ આ વાતમાં શ્રધ્ધા રાખે છે ? જો રાખે છે તો જ્યાં ત્યાં લાઇન લગાવીને શા માટે ઉભા રહી જાય છે ? શ્રધ્ધાનું એવું કયું ઘેલું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણની વાત પણ નગણ્ય સમજે છે ? કે પછી ધર્મમાં પણ લોકશાહી જેવું !… ધર્મ વિષે અજ્ઞાન હોય તો શું કરવું જોઇએ ?

( આ ફક્ત બ્રેઇન સ્ટોર્મિંગ ( ચિંતન ) જેવું છે, બાકી સહુ મુક્ત છે પોતાના ભગવાનો માટે, પોતાના ભ્રમો માટે, પોતાના ખયાલો માટે. પોતાના આનંદો માટે !)

પાશ્ચાત્ય ફિલોસોફર નિત્શે તો આથી ઘણું આગળ કહી ગયો છે, તેના પાગલ જેવા વિધાનો બે ઘડી વિચારતા કરી મૂકે તેવા છે ! - ” માણસ ઇશ્વર નથી બની શકતો, કારણ કે માણસને પેટ છે !, ઇશ્વરને બીજા ઇશ્વર સાથે જીવવું નથી પડતું, માણસને બીજા માણસ સાથે જીવવાની બહુ મોટી સજા છે” આ સજા માણસને ઇશ્વર સુધી પહોંચવા નથી દેતી. ( જ્યાં પોલ સાત્રના અસ્તિત્વવાદ વિષે મેં એક ચર્ચા મુકી હતી, સંદર્ભ ત્યાં જઇને અટકે છે……. )

Share SocialTwist Tell-a-Friend 

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

No comments yet.

Leave a comment

(required)

(required)


*
To prove you're a person (not a spam script), type the security word shown in the picture.
Anti-Spam Image